આ વેબપેજ બનાવવા પાછળનો આશય

મધ્યકાલીન ગુજરાતનો ઈતિહાસ વર્ણવતા પુસ્તક મિરાત-એ-સિકંદરીની થોડી જ ગુજરાતી નકલો બાકી રહી છે જે આવનારા થોડા વર્ષોમાં ચૂર્ણ થઈ જશે. ત્યારે અમદાવાદના સરખેજ રોજા ટ્રસ્ટ દ્વારા નજીકના ભૂતકાળમાં તેનું પુન:પ્રકાશન કરાવવામાં આવ્યું છે. આમ તો આ કાર્ય ઉમદા લાગે પરંતુ હકીકત એ છે કે સરખેજ રોજા ટ્રસ્ટે મિરાત-એ-સિકંદરીના પુન:પ્રકાશન સમયે અસલ પુસ્તકના ઘણા અંશો બદલી નાખ્યા છે અને અસલ પુસ્તકમાં પુષ્કળ ફેરફાર કર્યા છે. અહીં ગુજરાતના ઈતિહાસના ભાવિ સંશોધકોના લાભાર્થે અસલ મિરાત-એ-સિકંદરીની સરખામણીમાં નકલી મિરાત-એ-સિકંદરીમાં શું ફર્ક કરવામાં આવ્યા છે એનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.

મિરાતે સિકંદરીની ગુજરાતી નકલ કોણે પ્રકાશિત કરી?

મિરાતે સિકંદરીની ફારસીમાંથી ગુજરાતી અનુવાદિત નકલ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રકાશિત કરી હતી. પ્રથમ આવૃત્તિ ઈસ ૧૯૧૪માં એક હજારની સંખ્યામાં બહાર પડી હતી અને તેની કિંમત એક રૂપિયાની રાખવામાં આવી હતી.મુસ્લિમોમાં સુધારા પ્રવૃત્તિ માટે સામાન્ય જ્ઞાન અને વિદ્યાનો પ્રસાર થાય તેવાં પુસ્તકો રચાવવા માટે કાઠીયાવાદના ધોરાજીના પરંતુ વેપાર અર્થે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા તથા "પૃથ્વી પ્રદક્ષિણા" નામના પુસ્તકના કર્તા મેમણ હાજી સુલેમાન શાહમહંમદ લોધીઆએ (રૂપિયા ૨૫૦૦)ની ત્રણ ટકાની સરકારી પ્રોમીસરીની નોટો ઈસ ૧૯૦૩માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને સુપરત કરી હતી. ફંડની આવકમાં વધારો થાય એ માટે સોસાયટીએ તે જ વર્ષમાં આ નોટો વેચી તેનાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સવા ચાર ટકાના રૂપિયા ૨૨૦૦ના ડિબેન્ચરો લીધા હતા. તેના વ્યાજમાંથી "મેમણ હાજી સુલેમાન શાહમહંમદ લોધીઅ ગ્રન્થ માળા" ના નામથી પુસ્તકો રચાવી સોસાયટીએ છપાવ્યા હતા. આ ક્રમમાં મિરાતે સિકંદરી પણ ફારસીમાંથી ગુજરાતીમાં ભાષાંતરિત કરીને છપાવવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment