આ વેબપેજ બનાવવા પાછળનો આશય

મધ્યકાલીન ગુજરાતનો ઈતિહાસ વર્ણવતા પુસ્તક મિરાત-એ-સિકંદરીની થોડી જ ગુજરાતી નકલો બાકી રહી છે જે આવનારા થોડા વર્ષોમાં ચૂર્ણ થઈ જશે. ત્યારે અમદાવાદના સરખેજ રોજા ટ્રસ્ટ દ્વારા નજીકના ભૂતકાળમાં તેનું પુન:પ્રકાશન કરાવવામાં આવ્યું છે. આમ તો આ કાર્ય ઉમદા લાગે પરંતુ હકીકત એ છે કે સરખેજ રોજા ટ્રસ્ટે મિરાત-એ-સિકંદરીના પુન:પ્રકાશન સમયે અસલ પુસ્તકના ઘણા અંશો બદલી નાખ્યા છે અને અસલ પુસ્તકમાં પુષ્કળ ફેરફાર કર્યા છે. અહીં ગુજરાતના ઈતિહાસના ભાવિ સંશોધકોના લાભાર્થે અસલ મિરાત-એ-સિકંદરીની સરખામણીમાં નકલી મિરાત-એ-સિકંદરીમાં શું ફર્ક કરવામાં આવ્યા છે એનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.

મિરાતે સિકંદરીની ફારસી પરથી અંગ્રેજી નકલનું કામ કોણે કર્યું?

મિરાતે સિકંદરીનું ફારસીમાંથી અંગ્રેજી ભાષાંતર થયું હતું. આત્મારામ દીવાનજી આની વિગત બયાન કરતા લખે છે કે આ ગ્રંથ ઘણો અગત્યનો હોવાથી એનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા મી. એડવર્ડ થોમસે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈંડીયાને અરજી કરી હતી અને તે ઉપરથી સરકાર તરફથી મદદ આપવાનો ઠરાવ થયો હતો. આનું ભાષાંતર પ્રોફેસર ડોસનને સોંપવામાં આવ્યું હતું. એનું ભાષાંતર છાપખાનામાં હતું અને લગભગ પુરૂં થયું હતું તે અરસામાં એકાએક એ દેવલોક થયા. ત્યાર પછી સર ક્લાઈવ બેલીને એ પુસ્તક પુરૂં કરવાનું કામ સોંપવામાં આવ્યું, પણ એવામાં હૈદરાબાદના સર સાલારજંગ તરફથી નવી પ્રત મળી આવી. આ પ્રત જોતા સર ક્લાઈવને અગાઉ ડોસને કરેલા ભાષાંતરમાં ઘણો ફેર માલૂમ પડ્યો અને તેથી તેમણે નવેસરથી ભાષાંતર કરી પુસ્તકના આકારમાં છપાવ્યું. પણ ક્લાઈવ બેલી સાહેબનું ભાષાંતર પણ મહમૂદ ત્રીજા સુધીનું જ હતું. છેલ્લા બે સુલતાનના સમયના ઈતિહાસનું ભાષાંતર તેમના અકાળ મૃત્યુના કારણે શક્ય બની શક્યું નહી.

આ કારણથી કાઠિયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ વોટસને પોતે આ આખા પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો વિચાર કર્યો. પણ અતિશય કામના બોજાને લીધે તથા નાદુરસ્ત તબિયતને લીધે એ કામ તેમનાથી થયું નહીં ત્યારે તેમણે મી.ફઝલુલાહ લુતપુલા ફરીદીને એ કામ ઉપાડી લેવાનું સૂચવ્યું. અને પછી મી. ફઝલુલાહ ફરીદીએ બહુ મહેનતથી મિરાતે સિકંદરી પુસ્તકનું સંપૂર્ણ અંગ્રેજી રૂપાંતર કર્યું.

No comments:

Post a Comment