આ વેબપેજ બનાવવા પાછળનો આશય

મધ્યકાલીન ગુજરાતનો ઈતિહાસ વર્ણવતા પુસ્તક મિરાત-એ-સિકંદરીની થોડી જ ગુજરાતી નકલો બાકી રહી છે જે આવનારા થોડા વર્ષોમાં ચૂર્ણ થઈ જશે. ત્યારે અમદાવાદના સરખેજ રોજા ટ્રસ્ટ દ્વારા નજીકના ભૂતકાળમાં તેનું પુન:પ્રકાશન કરાવવામાં આવ્યું છે. આમ તો આ કાર્ય ઉમદા લાગે પરંતુ હકીકત એ છે કે સરખેજ રોજા ટ્રસ્ટે મિરાત-એ-સિકંદરીના પુન:પ્રકાશન સમયે અસલ પુસ્તકના ઘણા અંશો બદલી નાખ્યા છે અને અસલ પુસ્તકમાં પુષ્કળ ફેરફાર કર્યા છે. અહીં ગુજરાતના ઈતિહાસના ભાવિ સંશોધકોના લાભાર્થે અસલ મિરાત-એ-સિકંદરીની સરખામણીમાં નકલી મિરાત-એ-સિકંદરીમાં શું ફર્ક કરવામાં આવ્યા છે એનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.

મિરાતે સિકંદરી શું છે?

મિરાતે સિકંદરી એ ગુજરાતના મુસ્લિમ સલ્તનતકાલીન ઈતિહાસનું આધારભૂત પુસ્તક છે. અમદાવાદની સલ્તનતના દસ પુસ્તકો લખાયા છે તેમાં મિરાતે સિકંદરી શરૂથી અંત સુધીનો સંપૂર્ણ ગ્રંથ છે. મિરાતે સિકંદરીનો મૂળ ગ્રંથ ઈસ ૧૬૧૧માં ફારસી ભાષામાં રચાયો હતો. ગુજરાતી મિરાતે સિકંદરી પહેલી અને છેલ્લી વખત સન ૧૯૧૪માં પ્રકાશિત થયું હતું.

મિરાતે સિકંદરી નામનો અર્થ શું થાય?

મિરાતે સિકંદરીમાં મિરાત શબ્દનો અર્થ આરસી એટલેકે દર્પણ એવો થાય છે, જ્યારે સિકંદરી શબ્દ સિકંદર નામના ઈતિહાસકાર ગ્રંથકારના નામ પરથી છે. ગ્રંથકર્તા સિકંદર પોતાના ઉપોદઘાતમાં જણાવે છે કે જે રીતે દર્પણ કોઈની પણ તરફેણ રાખ્યા વગર જે ખરી પ્રતિમા છે તેને તે જ રીતે બતાવે છે તે રીતે (ઈતિહાસના) ગ્રંથકરતાએ પણ કોઈની તરફેણ રાખ્યા વગર દરેક સુલતાનના સારાં નરસાં કૃત્યોનો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે.

સિકંદર મિરાતે સિકંદરીમાં લખે છે કે સાફ દિલનો ઉંચા કુળનો માણસ સામાના મોં પર સાચું કહે છે. આયનો દૂષણ દેખાડવામાં એમ નથી જોતો કે સામો સિકંદર છે. સિકંદર કહે છે કે અગાઉના સલ્તનતનો ઈતિહાસ લખનારા દરેકે ઈતિહાસની રચના ઈનામની આશાએ પોતાના વખતાના સુલતાનની ખાતર કરવી પડી છે. આ કારણથી તમામ હકીકતોનો સમાવેશ તેમના ગ્રંથોમાં થયેલો નથી. એટલેકે તેમાં તેઓના વખાણ કાર્ય સિવાય બીજું કાંઈ દર્શાવેલું નથી. દુનિયામાં આદમીમાં નેકી અને બદી સમાયેલી છે. એક વિદ્વાન લખે છે કે જેમ ગુલાબની ડાખળીમાં કાંટા અને ફૂલ છે તેમ માણસમાં પણ થોડા સારા અને થોડા ખરાબ ગુણ હોય છે જ. આ રીતે જ્યારે પયગંબર અને ઓલીયા પુરૂષો કે જે નિર્દોષ હોય છે તે સિવાય કોઈ પણ પુરૂષ દૂષણ વિનાનો હોતો નથી. ત્યારે ગુજરાતના સુલતાનોના ઈતિયાસમાં તેમનાં સારા કૃત્યોનું જ વર્ણન કરવું અને તેમને દૂષણ લાગે એવાં કૃત્યો ગુપ્ત રાખવાં એ ઠીક નથી. કારણકે તેમનાં કૃત્યોની બારીક તપાસ ચલાવતાં માલૂમ પડ્યું છે કે તેમાં સ્તુતિપાત્ર કામો વધારે છે ને નિંદાપાત્ર ઓછાં છે, અને કેટલાકએકમાં તો તે નિંદાપાત્ર એટલાં ઓછાં છે કે નહીં જ જેવાં છે. તેથી વિશ્વાસ કરવા લાયક માણસ પાસેથી તેમનાં નરસાં કાર્ય વિષે જે સાંભળવામાં આવ્યું છે તથા જે કંઈ ઈતિહાસમાંથી મળી આવ્યું છે તે ઉપરથી આ ગ્રંથ(મિરાતે સિકંદરી)રચેલો છે. આ ઉપરથી વાંચનારાઓને ખબર પડશે કે તેમનાથી સારાં કૃત્યો કેટલે સુધી થયાં છે, ખરાબ કૃત્યોથી કેટલે સુધી તેઓ દૂર રહ્યા છે, રાજ્ય વ્યવહારમાં તેમણે કેવી નીતિ ચલાવી છે તથા રાજ્ય ચલાવવામાં કેવી રીતે બંદોબસ્ત કર્યા છે. તેથી આ ગ્રંથનું નામ મિરાતે સિકંદરી રાખ્યું છે.

મિરાતે સિકંદરીના મૂળ લેખક સિકંદર કોણ હતા?

મિરાતે સિકંદરીના લેખક સિકંદરનો જન્મ ઈસ ૧૫૫૩માં મહમૂદાબાદમાં થયો હતો. આ જ વર્ષે સુલતાન મહમૂદ ત્રીજાની કતલ થઈ હતી. સિકંદરે મિરાતે સિકંદરી ગ્રંથ લગભગ અઠ્ઠાવન વર્ષની ઉંમરે ઈસ ૧૬૧૧માં લખ્યો હતો. આવી પાકી ઉંમરે માણસ ઈતિહાસ જેવા વિષયની તલસ્પર્શી શોધખોળ કરીને લખી શકે છે.

ગ્રંથની શરૂઆતમાં સિકંદર લખે છે કે 'આ ગ્રંથ તૈયાર કરવામાં આ દાસને ઘણી મહેનત વેઠવી પડી છે. એક વખત ઘણી મહેનત કરી, પગવાળી, કલમ તથા કાગળ લઈ પ્રયત્ન કરવા માંડ્યો પણ એટલામાંદુ:ખનો પવન એવો ફૂંકાયો કે તે જેવી રીતે તીર બાણમાંથી ચુકવી દે છે તેવી રીતે મારી કલમને તેણે હાથમાંથી ફેંકાવી દીધી અને કાગળને પવનમાં ઉડાડી દીધો. પણ મારો વિચાર આ ઈતિયાસ લખવાનો દ્રઢ હતો તેથી મેં મારો પ્રયત્ન છોડ્યો નહીં. વળી પાછી મહેનત શરૂ કરી અને વૃદ્ધ પુરૂષોની અને ઓલીયાઓની મદદથી જે કંઈ મળ્યું તે ચોપડીમાં સારી અથવા નરસી ભાષામાં લખી કીમતી અને કચરા જેવી બાબતનો એક કલગો બનાવ્યો. જેવી રીતે સામાન ગમે તેવો માલ વગરનો હોય તો પણ તે એકઠો કરનાર જે આવ્યો હોય તે એકઠો કરે છે તેમ મને જે કંઈ મળી આવ્યું તે બધું એકઠું કરીને હું રજુ કરું છું. આશા છે કે જ્યારે વિદ્વાનો અને મહાપુરૂષો આ ગ્રંથ વાંચશે ત્યારે તેઓ આને એક માળા ગણીને આ ગરીબ ફકીરને માફ કરશે, કારણકે માળા ગમે તો મોતીના મણકાની હોય કે છીપના મણકાની હોય પણ તેનો હેતુ ગણતરી કરવાનો છે ને તે તો બેઉ પ્રકારની માળામાંથી બર આવે છે. તે જ રીતે આ ઈતિહાસરૂપી માળા કે જેની અંદર લડાઈની વાતો અને મનુષ્યનાં ચિત્ર છે તેનો હેતુ એ છે કે જુના વખતનાં બનેલાં કાર્યો જાણવાનો પ્રસંગ મળે, અને વિચાર કરવાનો અને તેના અવલોકનથી શિક્ષણ લેવાનો હાલની પ્રજાને લાભ પ્રાપ્ત થાય આટલું કહ્યા છતાં ફરીથી કહું છું કે જે માધુર્ય અને સૌંદર્ય વિદ્વાનોના ગ્રંથમાં હોય છે તે આ મારા ગ્રંથમાં નથી.

મિરાતે સિકંદરીની ફારસી પરથી અંગ્રેજી નકલનું કામ કોણે કર્યું?

મિરાતે સિકંદરીનું ફારસીમાંથી અંગ્રેજી ભાષાંતર થયું હતું. આત્મારામ દીવાનજી આની વિગત બયાન કરતા લખે છે કે આ ગ્રંથ ઘણો અગત્યનો હોવાથી એનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા મી. એડવર્ડ થોમસે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈંડીયાને અરજી કરી હતી અને તે ઉપરથી સરકાર તરફથી મદદ આપવાનો ઠરાવ થયો હતો. આનું ભાષાંતર પ્રોફેસર ડોસનને સોંપવામાં આવ્યું હતું. એનું ભાષાંતર છાપખાનામાં હતું અને લગભગ પુરૂં થયું હતું તે અરસામાં એકાએક એ દેવલોક થયા. ત્યાર પછી સર ક્લાઈવ બેલીને એ પુસ્તક પુરૂં કરવાનું કામ સોંપવામાં આવ્યું, પણ એવામાં હૈદરાબાદના સર સાલારજંગ તરફથી નવી પ્રત મળી આવી. આ પ્રત જોતા સર ક્લાઈવને અગાઉ ડોસને કરેલા ભાષાંતરમાં ઘણો ફેર માલૂમ પડ્યો અને તેથી તેમણે નવેસરથી ભાષાંતર કરી પુસ્તકના આકારમાં છપાવ્યું. પણ ક્લાઈવ બેલી સાહેબનું ભાષાંતર પણ મહમૂદ ત્રીજા સુધીનું જ હતું. છેલ્લા બે સુલતાનના સમયના ઈતિહાસનું ભાષાંતર તેમના અકાળ મૃત્યુના કારણે શક્ય બની શક્યું નહી.

આ કારણથી કાઠિયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ વોટસને પોતે આ આખા પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો વિચાર કર્યો. પણ અતિશય કામના બોજાને લીધે તથા નાદુરસ્ત તબિયતને લીધે એ કામ તેમનાથી થયું નહીં ત્યારે તેમણે મી.ફઝલુલાહ લુતપુલા ફરીદીને એ કામ ઉપાડી લેવાનું સૂચવ્યું. અને પછી મી. ફઝલુલાહ ફરીદીએ બહુ મહેનતથી મિરાતે સિકંદરી પુસ્તકનું સંપૂર્ણ અંગ્રેજી રૂપાંતર કર્યું.

મિરાતે સિકંદરીની ગુજરાતી નકલ કોણે પ્રકાશિત કરી?

મિરાતે સિકંદરીની ફારસીમાંથી ગુજરાતી અનુવાદિત નકલ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રકાશિત કરી હતી. પ્રથમ આવૃત્તિ ઈસ ૧૯૧૪માં એક હજારની સંખ્યામાં બહાર પડી હતી અને તેની કિંમત એક રૂપિયાની રાખવામાં આવી હતી.મુસ્લિમોમાં સુધારા પ્રવૃત્તિ માટે સામાન્ય જ્ઞાન અને વિદ્યાનો પ્રસાર થાય તેવાં પુસ્તકો રચાવવા માટે કાઠીયાવાદના ધોરાજીના પરંતુ વેપાર અર્થે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા તથા "પૃથ્વી પ્રદક્ષિણા" નામના પુસ્તકના કર્તા મેમણ હાજી સુલેમાન શાહમહંમદ લોધીઆએ (રૂપિયા ૨૫૦૦)ની ત્રણ ટકાની સરકારી પ્રોમીસરીની નોટો ઈસ ૧૯૦૩માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને સુપરત કરી હતી. ફંડની આવકમાં વધારો થાય એ માટે સોસાયટીએ તે જ વર્ષમાં આ નોટો વેચી તેનાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સવા ચાર ટકાના રૂપિયા ૨૨૦૦ના ડિબેન્ચરો લીધા હતા. તેના વ્યાજમાંથી "મેમણ હાજી સુલેમાન શાહમહંમદ લોધીઅ ગ્રન્થ માળા" ના નામથી પુસ્તકો રચાવી સોસાયટીએ છપાવ્યા હતા. આ ક્રમમાં મિરાતે સિકંદરી પણ ફારસીમાંથી ગુજરાતીમાં ભાષાંતરિત કરીને છપાવવામાં આવ્યું હતું.

મિરાતે સિકંદરીની મૂળ ફારસી નકલનું ગુજરાતી કોણે કર્યું?

ઈસ ૧૯૧૪માં આત્મારામ મોતીરામ દીવાનજીએ સિકંદરના અસલ ફારસી ગ્રંથ પરથી મિરાતે સિકંદરીનું ગુજરાતી ભાષાંતર કર્યું. આત્મારામજી લખે છે કે તેમણે જેમ બને તેમ ફારસી પુસ્તકને વળગી રહીને ભાષાંતર કર્યું છે. આત્મારામજી ભરૂચના બી.એ હતા. મુંબઈ ઈલાકાના કેળવણી ખાતામાં પ્રવૃત્ત હતા અને ખગોળ વિદ્યા, ભૂગોળ વિદ્યા જેવા ગ્રંથોના કર્તા હતા.