આ વેબપેજ બનાવવા પાછળનો આશય

મધ્યકાલીન ગુજરાતનો ઈતિહાસ વર્ણવતા પુસ્તક મિરાત-એ-સિકંદરીની થોડી જ ગુજરાતી નકલો બાકી રહી છે જે આવનારા થોડા વર્ષોમાં ચૂર્ણ થઈ જશે. ત્યારે અમદાવાદના સરખેજ રોજા ટ્રસ્ટ દ્વારા નજીકના ભૂતકાળમાં તેનું પુન:પ્રકાશન કરાવવામાં આવ્યું છે. આમ તો આ કાર્ય ઉમદા લાગે પરંતુ હકીકત એ છે કે સરખેજ રોજા ટ્રસ્ટે મિરાત-એ-સિકંદરીના પુન:પ્રકાશન સમયે અસલ પુસ્તકના ઘણા અંશો બદલી નાખ્યા છે અને અસલ પુસ્તકમાં પુષ્કળ ફેરફાર કર્યા છે. અહીં ગુજરાતના ઈતિહાસના ભાવિ સંશોધકોના લાભાર્થે અસલ મિરાત-એ-સિકંદરીની સરખામણીમાં નકલી મિરાત-એ-સિકંદરીમાં શું ફર્ક કરવામાં આવ્યા છે એનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.

મિરાતે સિકંદરી નામનો અર્થ શું થાય?

મિરાતે સિકંદરીમાં મિરાત શબ્દનો અર્થ આરસી એટલેકે દર્પણ એવો થાય છે, જ્યારે સિકંદરી શબ્દ સિકંદર નામના ઈતિહાસકાર ગ્રંથકારના નામ પરથી છે. ગ્રંથકર્તા સિકંદર પોતાના ઉપોદઘાતમાં જણાવે છે કે જે રીતે દર્પણ કોઈની પણ તરફેણ રાખ્યા વગર જે ખરી પ્રતિમા છે તેને તે જ રીતે બતાવે છે તે રીતે (ઈતિહાસના) ગ્રંથકરતાએ પણ કોઈની તરફેણ રાખ્યા વગર દરેક સુલતાનના સારાં નરસાં કૃત્યોનો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે.

સિકંદર મિરાતે સિકંદરીમાં લખે છે કે સાફ દિલનો ઉંચા કુળનો માણસ સામાના મોં પર સાચું કહે છે. આયનો દૂષણ દેખાડવામાં એમ નથી જોતો કે સામો સિકંદર છે. સિકંદર કહે છે કે અગાઉના સલ્તનતનો ઈતિહાસ લખનારા દરેકે ઈતિહાસની રચના ઈનામની આશાએ પોતાના વખતાના સુલતાનની ખાતર કરવી પડી છે. આ કારણથી તમામ હકીકતોનો સમાવેશ તેમના ગ્રંથોમાં થયેલો નથી. એટલેકે તેમાં તેઓના વખાણ કાર્ય સિવાય બીજું કાંઈ દર્શાવેલું નથી. દુનિયામાં આદમીમાં નેકી અને બદી સમાયેલી છે. એક વિદ્વાન લખે છે કે જેમ ગુલાબની ડાખળીમાં કાંટા અને ફૂલ છે તેમ માણસમાં પણ થોડા સારા અને થોડા ખરાબ ગુણ હોય છે જ. આ રીતે જ્યારે પયગંબર અને ઓલીયા પુરૂષો કે જે નિર્દોષ હોય છે તે સિવાય કોઈ પણ પુરૂષ દૂષણ વિનાનો હોતો નથી. ત્યારે ગુજરાતના સુલતાનોના ઈતિયાસમાં તેમનાં સારા કૃત્યોનું જ વર્ણન કરવું અને તેમને દૂષણ લાગે એવાં કૃત્યો ગુપ્ત રાખવાં એ ઠીક નથી. કારણકે તેમનાં કૃત્યોની બારીક તપાસ ચલાવતાં માલૂમ પડ્યું છે કે તેમાં સ્તુતિપાત્ર કામો વધારે છે ને નિંદાપાત્ર ઓછાં છે, અને કેટલાકએકમાં તો તે નિંદાપાત્ર એટલાં ઓછાં છે કે નહીં જ જેવાં છે. તેથી વિશ્વાસ કરવા લાયક માણસ પાસેથી તેમનાં નરસાં કાર્ય વિષે જે સાંભળવામાં આવ્યું છે તથા જે કંઈ ઈતિહાસમાંથી મળી આવ્યું છે તે ઉપરથી આ ગ્રંથ(મિરાતે સિકંદરી)રચેલો છે. આ ઉપરથી વાંચનારાઓને ખબર પડશે કે તેમનાથી સારાં કૃત્યો કેટલે સુધી થયાં છે, ખરાબ કૃત્યોથી કેટલે સુધી તેઓ દૂર રહ્યા છે, રાજ્ય વ્યવહારમાં તેમણે કેવી નીતિ ચલાવી છે તથા રાજ્ય ચલાવવામાં કેવી રીતે બંદોબસ્ત કર્યા છે. તેથી આ ગ્રંથનું નામ મિરાતે સિકંદરી રાખ્યું છે.

No comments:

Post a Comment