મિરાતે સિકંદરીના લેખક સિકંદરનો જન્મ ઈસ ૧૫૫૩માં મહમૂદાબાદમાં થયો હતો. આ જ વર્ષે સુલતાન મહમૂદ ત્રીજાની કતલ થઈ હતી. સિકંદરે મિરાતે સિકંદરી ગ્રંથ લગભગ અઠ્ઠાવન વર્ષની ઉંમરે ઈસ ૧૬૧૧માં લખ્યો હતો. આવી પાકી ઉંમરે માણસ ઈતિહાસ જેવા વિષયની તલસ્પર્શી શોધખોળ કરીને લખી શકે છે.
ગ્રંથની શરૂઆતમાં સિકંદર લખે છે કે 'આ ગ્રંથ તૈયાર કરવામાં આ દાસને ઘણી મહેનત વેઠવી પડી છે. એક વખત ઘણી મહેનત કરી, પગવાળી, કલમ તથા કાગળ લઈ પ્રયત્ન કરવા માંડ્યો પણ એટલામાંદુ:ખનો પવન એવો ફૂંકાયો કે તે જેવી રીતે તીર બાણમાંથી ચુકવી દે છે તેવી રીતે મારી કલમને તેણે હાથમાંથી ફેંકાવી દીધી અને કાગળને પવનમાં ઉડાડી દીધો. પણ મારો વિચાર આ ઈતિયાસ લખવાનો દ્રઢ હતો તેથી મેં મારો પ્રયત્ન છોડ્યો નહીં. વળી પાછી મહેનત શરૂ કરી અને વૃદ્ધ પુરૂષોની અને ઓલીયાઓની મદદથી જે કંઈ મળ્યું તે ચોપડીમાં સારી અથવા નરસી ભાષામાં લખી કીમતી અને કચરા જેવી બાબતનો એક કલગો બનાવ્યો. જેવી રીતે સામાન ગમે તેવો માલ વગરનો હોય તો પણ તે એકઠો કરનાર જે આવ્યો હોય તે એકઠો કરે છે તેમ મને જે કંઈ મળી આવ્યું તે બધું એકઠું કરીને હું રજુ કરું છું. આશા છે કે જ્યારે વિદ્વાનો અને મહાપુરૂષો આ ગ્રંથ વાંચશે ત્યારે તેઓ આને એક માળા ગણીને આ ગરીબ ફકીરને માફ કરશે, કારણકે માળા ગમે તો મોતીના મણકાની હોય કે છીપના મણકાની હોય પણ તેનો હેતુ ગણતરી કરવાનો છે ને તે તો બેઉ પ્રકારની માળામાંથી બર આવે છે. તે જ રીતે આ ઈતિહાસરૂપી માળા કે જેની અંદર લડાઈની વાતો અને મનુષ્યનાં ચિત્ર છે તેનો હેતુ એ છે કે જુના વખતનાં બનેલાં કાર્યો જાણવાનો પ્રસંગ મળે, અને વિચાર કરવાનો અને તેના અવલોકનથી શિક્ષણ લેવાનો હાલની પ્રજાને લાભ પ્રાપ્ત થાય આટલું કહ્યા છતાં ફરીથી કહું છું કે જે માધુર્ય અને સૌંદર્ય વિદ્વાનોના ગ્રંથમાં હોય છે તે આ મારા ગ્રંથમાં નથી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment